નર્મદા : નર્મદા નિગમે 1 એપ્રિલથી નર્મદા કેનાલમાં પિયત માટે પાણી બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર સીધો પ્રભાવ પાડશે. નર્મદા વિભાગના અધિકારી કે.પી. સથવારાના જણાવ્યા પ્રમાણે કે, બી.સી. કેનાલ બે મહિના માટે બંધ રહેશે. ખાસ કરીને રાધનપુર, સાંતલપુર, સમી, સુઇગામ, ભાભર અને કાંકરેજ સહિતના તાલુકાઓ પર આ નિર્ણયનો અસરો પડશે.

Decision News ને મળેલી માહિતી અનુસાર નર્મદા નિગમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જો કોઈ ખેડૂત ઉનાળુ પાકનું વાવેતર કરશે તો તેનાં જવાબદાર નર્મદા નિગમ નહીં હોય. ઉપરાંત, નહેર પર અનધિકૃત રીતે મૂકેલા મશીનો, પમ્પો અને બકનળીઓ હટાવવાની ચેતવણી આપવામાં આવી છે. આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

રાધનપુર તાલુકાના ખેડુતોનો આક્ષેપ છે કે હવે તેમનો મોટાભાગનો પાક કેનાલના પાણી પર આધારિત છે. પાણી બંધ થતા તેઓ બાજરી, જુવાર અને ઉનાળુ પાકનું વાવેતર કરી શકતા નથી. ધનિક ખેડૂતો ટ્યુબવેલથી વાવેતર કરી શકે છે, પરંતુ જેના માટે પાણીની સગવડ નથી તે ખેડુતો માટે સમસ્યા ઊભી થશે.