સુરત: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યભરમાં મોટા પાયે દારૂનું વેચાણ થાય છે. પોલીસ અને સરકાર દારૂના પ્રસારને અટકાવવાના દાવા કરતી હોવા છતાં, હકીકત એ છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં દારૂ સરળતાથી મળી રહે  છે. સુરતના સરથાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI ઉર્વશી મેંદરપા એ કહ્યું કે પટેલ સમાજ માટે ચોંકાવનારી વાત સામે આવી છે.ઉર્વશી મેંદરપા એક કાર્યક્રમમાં પટેલ સમાજને સંબોધી રહ્યાં છે.

Decision News સામે તેમણે ખુલાસો કર્યો કે દારૂ પીને ઝડપાયેલા 15 લોકોમાંથી લગભગ 10 પટેલ યુવાનો હોય છે. તેઓએ ઉલ્લેખ કર્યો કે આવા કિસ્સાઓમાં મોટા પાયે ભલામણો કરવામાં આવે છે કે પોલીસ આ યુવાનોને છોડી આપે.ઉર્વશી મેંદરપાએ વધુ એક ચોંકાવનારી વાત કહી કે સાયબર ક્રાઈમના નોંધાતા કેસોમાંથી 50 ટકા કેસ પટેલ સમાજના લોકો સામે હોય છે. પટેલ સમાજ માટે આ આંકડાઓ ચિંતાજનક છે, અને સમુદાયએ આ મુદ્દે બાબતે વિચારવું જોઈએ.

પટેલ સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ PSIના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે સમાજને આ હકીકતને ગંભીરતાથી લેવી જોઈએ. તેમની દલીલ છે કે જો પોલીસ દારૂ પીધેલા લોકો પર કડક કાર્યવાહી કરે તો કોઈએ ભલામણ કરવા જવી જોઈએ નહીં. PSIના નિવેદન પર પટેલ સમાજમાં વાદવિવાદ શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો તેમને ટેકો આપી રહ્યા છે, તો કેટલાક આ નિવેદનને પટેલ યુવાનોને નિશાન બનાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. આ મુદ્દો પટેલ સમાજ માટે મંથન કરવાનું કારણ બની શકે છે.