સુરત: સુરતમાં આર્થિક તંગીથી ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું.
Decision News ને મળતી માહિતી મુજબ સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, વરીયાવ બ્રિજ પર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. જેના આધારે તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર-28 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગ કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યો હોવાનું નજરે પડયું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભોળવ્યો હતો અને યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો હતો.
દરમિયાન રેલિંગની નજીક આવતા જ રેલિંગની બહારથી પકડી લીધો હતો અને સમય સૂચકતા વાપરી આ યુવાનને પકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાળી તાર ફેન્સીંગ ટપીને આ યુવાનને બચાવી લેવાયો હતો અને પોલીસ સ્ટેશન લઈ આવી તેની પૂછપરછ કરી હતી. યુવકની ઉંમર 28 વર્ષ છે અને પરિવાર સાથે વરિયાવ વિસ્તારમાં જ રહે છે. યુવક પોતે થોડા સમયથી આર્થિક તંગીથી કંટાળી ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કર્યું હતું અને ત્યારબાદ તેના પરિવારને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તેને તેના પરિજનોને સહીસલામત સોંપ્યો હતો.

