વલસાડ: વલસાડમાં પેટના દુખાવાથી પીડાતા બાળકનું સમયસર નિદાન ન થતાં મોત થયું. વલસાડમાં એક 13 વર્ષીય બાળકના મોતે આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હિંગરાજ ભાઠીમોર ફળિયાના રહેવાસી શ્લોક ટંડેલને 11મી જાન્યુઆરીએ પેટમાં તીવ્ર દુખાવો થતાં પ્રથમ ખાનગી ક્લિનિકમાં લઈ જવાયો, જ્યાં વેન ન મળતાં તેને આશ્રય ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
DECISION NEWS ને મળેલી માહિતી મુજબ ડૉ. રાજેશ લાડે સીટી સ્કેનની સલાહ આપી, પરંતુ 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ નિમિત્તે શહેરના તમામ સીટી સ્કેન સેન્ટરો બંધ હોવાથી નિદાન શક્ય ન બન્યું. દરમિયાન બાળકની તબિયત વધુ લથડતાં તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું. આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ સામે હંગામો મચાવ્યો અને સમયસર નિદાન ન થવાને કારણે બાળકના મૃત્યુનો આરોપ મૂક્યો.
વલસાડ સીટી પોલીસના PI ડી.ડી. પરમાર અને રૂરલ PI ભાવિક જીતિયા ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. હોસ્પિટલ બહાર મૃતકની માતા અને પરિવારજનોના રૂદનથી કરુણ દૃશ્યો સર્જાયા હતા.

