વલસાડ: વલસાડ જિલ્લામાં કૂલ 3239 ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન 3 કરોડ 49 લાખ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 1771 ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનું વિશેષ મહત્વ છે. ટૂંકમાં કહીએ તો પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગાય સહાય યોજના હેઠળ ખેડૂતોને દેશી ગાયના નિભાવણી ખર્ચ પેટે દર મહિને રૂપિયા 900ની સહાય તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. એટલે કે, વાર્ષિક રૂપિયા 10,800 ની સહાય આપવાની યોજના અમલમાં છે. વલસાડ જિલ્લામાં કુલ 3239 ખેડૂત લાભાર્થીઓને વર્ષ દરમિયાન 3 કરોડ 49 લાખ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 1771 ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. રાજ્ય સરકારની ગાય સહાય યોજના ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોના સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ગણાય છે.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ દેશી ગાયનો ઉછેર તેનું જનત અને સંવર્ધનની સાથે સાથે પ્રાકૃતિક ખેતીને મદદરૂપ થવા માટે નાણાકીય સહાય પૂરી પાડી ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપે છે. જેનાથી કૃષિ ઉત્પાદકતામાં વધારો થવાની સાથે પર્યાવરણનું સંતુલન, સંરક્ષણ અને ગ્રામીણ આજીવિકામાં પણ યોગદાન આપે છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના નિર્ણાયક ભૂમિકા ભજવે છે.વલસાડ જિલ્લા આત્મા પ્રોજેકટના ડાયરેકટર ડી.એન.પટેલે જણાવ્યું કે, દેશી ગાય સહાય યોજના થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પ્રવૃત્તિઓમાં દેશી ગાય મૂલ્યવાન ગણાય છે. ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી ખેડૂત જાતે જ જીવામૃત, ઘન જીવામૃત, બીજા મૃત, અગ્નિસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવી શકે છે. જેથી ખેડૂતે રાસાયણિક ખાતર પર નિર્ભર રહેવુ પડતુ નથી. ઘરે બનાવેલા આ ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધે છે જે પર્યાવરણના સંરક્ષણમાં ફાળો આપે છે. રાજ્ય સરકારની આ નાણાકીય સહાય ખેડૂતો પરના નાણાકીય બોજને હળવો કરે છે.

દેશી ગાયથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખેડૂતોની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.વલસાડ જિલ્લા આત્મા પ્રોજેકટના ડેપ્યુટી ડાયરેકટર વિમલભાઈ પટેલે જણાવ્યું કે, આ યોજનાનો લાભ જે ખેડૂત પાસે એક એકર જમીન હોય, દેશી ગાય હોય અને પ્રાકૃતિક ખેતી કરતો હોય તેને જ મળવા પાત્ર છે. આઈ-ખેડૂત પોર્ટલ ખુલે ત્યારે તેના પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. વલસાડ જિલ્લામાં દેશી ગાય સહાય યોજનાનો હાલમાં 3239 ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જેઓને વર્ષમાં બે વાર રૂપિયા 5400 ના બે છ માસિક હપ્તામાં યોજનાનો લાભ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજનાના લાભ માટે સાત-બાર, આઠ- અ નો ઉતારો, આધાર કાર્ડ અને બેંક પાસ બુક અપલોડ કરવાની રહે છે. આમ, આ યોજનાના લાભથી ખેડૂતોનો ખાતરનો ખર્ચ ઘટી રહ્યો છે સાથે ખેડૂતોને દર મહિને રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ પણ મળી રહી છે. સાથે જ ખેડૂતોને ગાયના દૂધથી આવક પણ મળતા ખેડૂતો સ્વનિર્ભર બની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે.