ધરમપુર: સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિ આદિવાસી જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં તા. 15 નવેમ્બરના રોજ ઉજવાયા બાદ તેના ભાગરૂપે પીએમ-જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળી આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા 2024 સાથે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ધરમપુર તાલુકાના આંબાતલાટ ગામે સાવરમાળ પ્રાથમિક શાળામાં તા. 17 નવેમ્બરને રવિવારે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા આવી પહોંચતા ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની 149 મી જન્મ જયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. 15 નવેમ્બરે ધરતી આબા જનજાતિય ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આદિવાસીસમાજને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર સહિતની માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય અને સર્વાંગી થાય તે માટે મહત્વની સેવા આપવા માટે આ ગૌરવરથ આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ લાભો જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં આદિવાસી પરિવારજનોને મળ્યા છે. જે બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપુ છું. નરેન્દ્રભાઈ ધરમપુર સહિતના આદિવાસી ગામડાઓમાં રહ્યા છે જેથી તેઓ આદિવાસી સમાજની સમસ્યા તેમની પીડાને વધુ સારી રીતે સમજી શકે છે. મોદીજીએ આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી આદિવાસી સમાજની જીવનશૈલી બદલી છે. પહેલાના સમયમાં આદિવાસીના વિકાસ માટે માત્ર રૂ. 25000 કરોડ ફાળવાતુ હતુ પરંતુ હવે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું બજેટ માત્ર આદિવાસીઓના વિકાસ માટે ફાળવાય છે.
ધરતી આબા જનજાગૃતિ ગામ ઉત્કર્ષ અભિયાન અંગે ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે, દરેક આદિવાસી ગામના વિકાસ માટે રૂ. 20 લાખની ફાળવણી કરવામાં આવી છે. 100 કરોડથી વધુના ખર્ચે રસ્તાના કામો ચાલુ થવાના છે. આજે ગામે ગામ અને ઘરે ઘરે માળખાકીય સુવિધાના કામો તેમજ વ્યકિતગત યોજનાના લાભો આદિવાસી સમાજને મળી રહ્યા છે. ચારે દિશામાં પ્રગતિ થઈ રહી છે. નવા સરકારી દવાખાના, આંગણવાડી, શાળાના મકાનો બની રહ્યા છે. અંતરિયાળ ગામડાઓમાં પણ રસ્તાની કનેકટીવીટી મળી રહી છે. આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ યાત્રા સાથે સેવાસેતુ પણ યોજાઈ રહ્યા છે જેમાં 17 જેટલી સરકારી સેવાનો લાભ આપવા માટે રજાના દિવસે પણ અધિકારીઓ અને કર્મચારીઓ તમારા ગામમાં આવ્યા હોવાનું ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.

