રાજપીપલા: સમગ્ર રાજ્યના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય, પાયાનું શિક્ષણ મજબુત કરી શિક્ષિત ભાવિ પેઢિનું નિર્માણ કરી શકાય તેવા શુભ આશય સાથે પ્રતિવર્ષ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. આ વર્ષે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તા. 26, 27 અને 28 જૂન-2024 દરમિયાન 21 માં તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે.

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ- 2024ની ઉજવણી માટે બનાવેલી શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના સભ્યોની આજે શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-2024ને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અને આયોજનની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરી જિલ્લાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી વિશેષ કામગીરીની શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો દ્વારા યોગ્ય નિરિક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સાથે શાળા પ્રવેશોત્સવ ખરા અર્થમાં ભૂલકાંઓનો પ્રવેશોત્સવ બની રહે તે જોવા તમામ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. કેટલાંક રચનાત્મક સૂચનો સાથે ખૂટતી કડીઓને જોડવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ- 2024ની ઉજવણી માટે કુલ 84 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના સનદી અધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ, જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીશ્રીઓ એક દિવસમાં ત્રણ શાળાના કાર્યક્રમમાં હાજરી આપશે. જિલ્લાની કુલ 764 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં આંગણવાડીમાં 2814 બાળકો અને બાલવાટિકામાં 6950 તેમજ ધોરણ-1 માં 8088 ભૂલકાઓ તેમજ ધોરણ-9 માં 5572 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. કિરણબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્યશ્રી એમ.જી.શેખ સહિત સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ અને શિક્ષણ વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.