અમદાવાદ: આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ્હસ્તે શિક્ષણ વિભાગની ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો શુભારંભ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલથી કરવામાં આવ્યો.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાઠવેલ સંદેશનું પઠન કર્યું હતું, જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે સીમાચિન્હરૂપ ગણાવ્યો હતો.

નમો લક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ ₹50,000 સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે કુલ ₹25,000 સુધીની સહાય અપાશે.

આ તકે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, AMC ના મેયર પ્રતિભાબેન જૈન, કર્ણાવતી મહાનગર ના અધ્યક્ષ અને સાથી ધારાસભ્ય અમિતભાઈ શાહ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, મહાનુભાવો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.