ચીખલી: સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે એ માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી, પરંતુ નવસારી જિલ્લામાં NGO દ્વારા પહોંચાડતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળવાની ઘટના બનતી રહે છે. ચીખલી ના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પણ ગત મંગળવારે આપવામાં આવેલા ભોજનમાં રસવાળા મગના શાકમાં ઈયળ નીકળતા ચકચાર મચી હતી. ઈયળ નીકળવાની ઘટના મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ આરંભી છે. મહત્વનું છે કે, થોડા મહિનાઓ પહેલાં દાળમાંથી ગરોળી પણ નીકળી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ નવસારી જિલ્લામાં વર્ષોથી મુંબઈની NGO નાયક ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોચાડવામાં આવે છે, પરંતુ લાંબા સમયથી NGO દ્વારા વહેલી સવારથી ભોજન બનાવી, તેને વાસણોમાં ભરી, સીલ મારીને જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ટેમ્પો મારફતે પહોચાડવામાં આવે છે. બે દિવસ અગાઉ ગત મંગળવારે સવારે NGO એ મમરા, રોટલી, ભાત અને રસવાળા મગનું શાક ચીખલી તાલુકાના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પહોંચાડ્યું હતું. જ્યાં બપોરે રીસેસમાં બાળકોને ભોજન પીરસવાનું શરૂ કર્યું. જેમા ધોરણ 7 ના વિદ્યાર્થીની થાળીમાં ભાત અને મગનું શાક આપતા જ તેમાં ઈયળ આવતા જ તેણે તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી. જેથી શિક્ષકે તાત્કાલિક બાળકોને ભોજન પીરસવાનું બંધ કરાવી દીધું હતું. ગત મંગળવારે શાળામાં 165 વિદ્યાર્થીઓએ મમરા અને રોટલી ખાવી પડી હતી.
સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવતા જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. મહત્વનું છે કે, થોડા પહેલાં દાળમાંથી ગરોળી પણ નીકળી હતી. પરંતુ આજ દિન સુધી પુરવઠા વિભાગ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે ગત મંગળવારે વાંઝણા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાયેલા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હોવાની ઘટના જાણ્યા બાદ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ પર એક્ટિવ થયા હતા. અને તેમણે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી તપાસ રિપોર્ટ આપવા આદેશ કર્યા છે. સાથે જ ઘટનામાં જે પણ કસુરવાર નીકળશે તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલ જણાવે છે કે, TPEO તપાસ સોંપી છે. વાંઝણા પ્રાથમિક શાળામાં ઘટના બની હોવાની વિગત મળી છે. ભાત અથવા મગમાં ઈયળ નીકળી હોવાની સંભાવના છે. આગામી સમયમાં
તપાસના અંતે જે રિપોર્ટ આવશે તેના આધારે યોગ્ય પગલાં લેવામાં આવશે.
શાળાના શિક્ષક અશોક પટેલ જણાવે છે કે, જ્યારે મધ્યાહન આવે ત્યારે તેની પૂરતી ચકાસણી કરવામાં આવે છે. શાળાના ચોખ્ખી અને વ્યસ્થિત જગ્યાએ મૂકવામાં આવે છે. 1 વાગીને 45 મિનિટ અમે બાળકોને જમવા માટે બેસાડીએ છીએ, બાળકોને જે ડિશમાં ભોજન પીરસાયું તે પણ ચોખ્ખી હતી. પહેલાં મમરા, રોટલી ભાત અને મગનું શાક પીરસવામાં આવ્યું હતું. પહેલાં બેસેલા બાળકના ડિશમાં ઈયળ દેખાઈ હતી. . જેથી ભોજન પીરસવાનું બંધ કરવામાં આવ્યું હતું. બાળકોને માત્ર મમરા રોટલી આપવામાં આવ્યા હતા.

