ડાંગ: ગતરોજ સાકરપાતળ ખાતે “આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન ‘ઉલ્લાસ’ એપ અને ‘નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ’ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ સાક્ષરતા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
DECISION NEWS ને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સાકરપાતળના આચાર્યશ્રી ડો.ફાલ્ગુની પટેલના માર્ગદર્શન હેઠળ આ આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ, સાક્ષરતા વિશે લોકોને જાગૃત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાક્ષરતા સપ્તાહ અંતર્ગત શ્રીમતી આર.એસ પટેલ અને એમ.કે.પટેલ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એમ.બી પરમાર અને વાય.આર.ટંડેલ દ્વારા સાક્ષરતા સંદર્ભે નાટકો રજૂ કરવામાં આવ્યુ હતું. તો શ્રી એસએમ.દેશમુખ, અને આર.આર.ગામીત તથા એસ. ડી હળપતિએ પ્રભાત ફેરી, લોગો, સ્લોગન જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવી શિખનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સાક્ષરતા દર વધારવા, અને લોકોને ભણવા, શીખવા પ્રત્યે પ્રેરિત કરવાના હેતુને ધ્યાનમાં રાખી, શાળામાં સાક્ષરતા સપ્તાહની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી, અને પવિત્ર ફરજ સમજીને કરવામાં આવી હતી.











