વાંસદા: ગતરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને પલસાણા ખાતે શ્રીમતી આર.એમ. ભાદરડા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ દ્વારા ‘અમારે ભાદરડા નર્સિંગ કોળજ પલસાણામાં અભ્યાસ નથી કરવો‘ એમ કહી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે અમારે શ્રીમતી આર.એમ. ભાદરડા નર્સિંગ કોળજ પલસાણામાં અભ્યાસ નથી કરવો. થોડા સમય પહેલા જ કોલેજમાં ચોરીનો આરોપ લાગવાથી આદિવાસી સમાજના સોનલબેન ચૌધરીનું અપમૃત્યુ થવાના કારણે અમો કોલેજમાં ડરના માહોલમાં ભણી રહ્યા છે અને આ આગલા પ્રાધ્યાપકો પણ કોલેજ છોડી ગયા છે. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી અભ્યાસક્રમ ચાલી રહ્યો નથી. આથી અમે કોલેજ છોડવા માંગીએ છીએ, પરંતુ કોલેજના પ્રશાસન દ્વારા ડોક્યુમેન્ટ્સ માંગવા છતાં આપતાં નથી. આથી અમારે તમોને રજૂઆત કરવી પડે છે. તો આપ અમારા પ્રશ્નોનું નિરાકરણ કરો. જેના જવાબમાં ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યુ હતું કે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને મારું સમર્થન છે. જો કોલેજ ડોક્યુમેન્ટ્સ આપશે નહીં તો આંદોલન કરીશું.
પલસાણા આર.એમ. ભાદરડા કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમને કોલેજમાં કેટલાય સમયથી લેક્ચર પણ નથી ચાલતા તેમજ ભણવા માટે પણ નીચે બેસવું પડે છે. અમને ત્યાં વાસી ખાવાનું જમવામાં આપે છે. તેમજ એક વિદ્યાર્થીનીનું અપમૃત્યુ થતાં હવે કોલેજમાં જતાં ડર લાગે છે જેથી અમારે કોલેજ બદલવી છે. વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું કે અમારી છોકરી ઘણાં સમયથી કોલેજ બાબતે ફરિયાદ કરતી હતી પરંતુ ત્યારબાદ એક વિદ્યાર્થીનીનું અપમૃત્યુ થતાં અમારી છોકરીને ત્યાં મોકલતા પણ ડર લાગે છે જેથી અમારે કોલેજ બદલવી છે.

