ખેરગામ: છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તબિબ દંપત્તિ ડો. નિરવ પટેલ અને ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસ નિમિતે હંમેશા અવનવી શૈક્ષણિક, સામાજિક, સેવાકીય પ્રવૃતિઓ કરીને જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરતાં હોય છે ત્યારે સમાજસેવી મહિલા તબીબે પોતાના જન્મદિવસ નિમિતે વિવિધ ક્ષેત્રોમા સફળતા મેળવેલ બાળકો અને મહારથીઓનું સન્માન કર્યું હતું.

ખેરગામમા ડો.દિવ્યાંગી પટેલ પોતાના જન્મદિવસે રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ જ રૂપિયાનો જરૂરિયાતમંદ લોકો માટે સદુપયોગ કરતા હોય તેમ છે. આ વર્ષે એમના જન્મદિવસ નિમિતે વિવિધ વિષયોમાં મહારથ હાંસલ કરેલા 6 જેટલાં બાળકો જેમણે શિષ્યવૃતિની પરીક્ષામા ખેરગામ તાલુકાનાં દ્વિજ પરેશભાઈ પટેલ,ઉન્નતિ નિલેશભાઈ પટેલ,રોનક ગણેશભાઈ પટેલ અને મહુવા તાલુકાનાં મેળવનાર દિવ્યાંગ સુનિલભાઈ પટેલ, દ્રિષ્યા નિલેશભાઈ પટેલ, નિલ રોહિતભાઈ પટેલ દ્વારા ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી તાલુકાનું નામ રોશન કરેલ હતું અને ખુબ જ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાંથી ડાંગના વિદ્યાર્થીઓના શિક્ષણ સંલગ્ન વિષયમાં પીએચ.ડી.કરનાર ધર્મિષ્ઠાબેન પટેલ અને હાલમાં બી.એડ.કરી રહેલ ખેરગામ સરસિયા કોલેજની વિદ્યાર્થીની દમયંતીબેન પટેલે એન.એસ.એસ.નાં સ્વયંસેવિકા તરીકે રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાનાં હાથે અવૉર્ડ મેળવી તાલુકાનું નામ રોશન કરનાર મહિલાઓનું સન્માન કર્યું હતું.

આ બાબતે ડો.દિવ્યાંગી નિરવ પટેલે Decision News ને જણાવ્યું કે મારા મમ્મી-પપ્પા-સાસુમા શિક્ષક હોવાથી અમારો પરિવાર વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલો છે. અમારા બંનેનાં માતા-પિતા દ્વારા ગરીબોને શિક્ષણ આપવાના અવિરત ભગીરથ પ્રયાસો કરવામાં આવ્યા હતાં અને અમારા સાસુમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મહામહિમ રાજ્યપાલ કમલાબેન બેનીવાલજીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ જીતી ચુક્યા છે. આથી શિક્ષણ એ અમારા માટે પણ ખુબ જ રસનો વિષય હોય અમારા આજીવન પ્રયત્નો દરેક બાળકો ખુબ ભણે અને દેશ તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કરે એવી અમારી અંતરમનની પ્રબળ ઈચ્છા છે. આથી જન્મદિવસ નિમિત્તે આવા હોનહાર તારલાઓનું સન્માન કરી એ લોકોને સન્માનિત કરવાનો મોકો મળ્યો એનો ખુબ જ આનંદ છે.