વલસાડ: કોરોનાની મહામારીની પ્રાણઘાતક બીજી લહેર દરમ્યાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતાં. ગુંદલાવનાં સેવાભાવી નવનીત ઉર્ફે નિલમ પટેલને પણ કોરોનાની સારવાર કરવા છતાં પણ ફાની દુનિયામાંથી વસમી વિદાય લેવી પડી હતી. એમના પુણ્યાર્થે એમની બીજી પુણ્યતિથિ નિમિતે સતત બીજા વર્ષે પણ સ્વ.નિલમભાઈનાં મિત્ર વિકાસભાઈ તેમજ બહેન હેતલબેન,રૂચિતાબેન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને આઈપીપી, ઇન્ડિયન મેડિકલ એસોસીએસન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, પેથોલોજીસ્ટ ડો.દિવ્યાંગી પટેલ, ગાયનેકોલોજીસ્ટ ડો.નીરવ પટેલ, ઈએનટી સર્જન ડો.રાહુલ પટેલ, બાળરોગ નિષ્ણાંત ડો.અમિત દલવી, આંખના તબિબ ડો.નિતિન પટેલ, ગુંદલાવનાં ડો.ઋષિકેશ વૈદ, ફિઝિયોથેરાપીસ્ટ ડો.રૂજૂતા, પટેલ મેડિકલ સ્ટોરના હેમંત પટેલ, માહલા, નીતા, મયુર, શીલાબેન સહિતના તબિબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમા અતિથિ વિશેષ તરીકે ગુંદલાવનાં યુવા સરપંચ નિતિન પટેલ અને ઉપસરપંચ વિનોદ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કેમ્પમાં 100 થી વધારે દર્દીએ નિષ્ણાંત તબીબોની તબિબી સેવાઓનો લાભ લીધો હતો અને કથા સાથે યોજાયેલ જમણવારમાં અનેક લોકોએ લાભ લીધો હતો.