વલસાડ: ગતરોજ નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ચીખલા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 80 કરોડના ખર્ચે 1101 મીટરના નવા નિર્માણ કરાયેલા ને.હા.48 કુંડી ફાટક–કાંપરી-વલસાડ રેલવે ઓવરબ્રીજનું સાંસદશ્રી ડૉ. કે.સી પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.
વલસાડ શહેર સાથે સીધું જોડાણ કરતા કાંપરીના રેલવે ઓવરબ્રીજ દ્વારા ને.હા.નં–48ના કુંડી ફાટકના ટ્રાફિકને કનેક્શન મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રીજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે. કાંપરી ઓવરબ્રીજ દ્વારા આસપાસના મહત્તમ ગામોના નાગરિકોને ફાયદો થશે.
ઓવરબ્રીજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, આ ઓવરબ્રીજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. દરેક વિકાસના કામો લોકોના સંકલન અને સહયોગથી જ પુરા કરી શકાયા છે. આ લોકાર્પણ કાર્યક્રમોમાં સાંસદ ડૉ.કે.સી.પટેલે રેલવે ઓવરબ્રીજને કારણે અનેક સમસ્યાના નિરાકરણ આવ્યા છે અને લોકોને ઘણી સુવિધા રહેશે એમ કહી શુભેચ્છા પાઠવી હતી તેમજ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ પૂર્વ – પશ્ચિમનાં ગામોને જોડવા સાથે આ બન્ને ઓવરબ્રીજો મેડિકલ ઈમરજન્સીમાં, સમયની બચત કરવામાં પણ ખુબ જ ઉપયોગી થશે એમ કહ્યું હતું તેમજ આ કામોમાં સહયોગ આપવા બદલ ગામલોકોનો આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કમલેશભાઈ ઠાકોર, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, વલસાડ રૂરલ મામલતદાર તેજલ પટેલ, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ, પશ્ચિમ રેલવેના એરિયા મેનેજર અનુત્યાગી, DFCCILના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર મનોજ દાસ, આસપાસના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

