વલસાડ: આગામી 14-03-2023 થી 29-03-2023 સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC અને HSC માર્ચ-2023 ની બોર્ડની પરીક્ષા ૭૭ જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. જે પરીક્ષાના પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડક્ટરો પરીક્ષાનું સરળ સંચાલન કરી શકે તેમજ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રેએ અધિનિયમ 1973ની કલમ 144 મુજબ મળેલી સત્તાની રૂએ સભા સરઘસના આયોજન કરવા ઉપર તથા તમામ પરીક્ષા કેન્દ્રની હદથી ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા જણાવ્યું છે.

પરીક્ષાના દિવસો 14-03-2023 થી 29-03-2023 સુધી સવારના 09-00 થી સાંજના 19-00 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે 4 (ચાર) કરતા વધુ માણસોની કોઇ સભા ભરવી નહી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી. પરીક્ષાના દિવસો તા.14-03-2023 થી 29-03-2023 સુધી સવારના 09-00 થી સાંજના 19-00 સુધી ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહી. ઉપરોક્ત પરીક્ષા સ્થળોના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં પ્રવેશતા ખાનગી વાહનો તેમજ પરીક્ષાર્થીઓને ગેરરીતિમાં મદદ કરવાના બદ-ઈરાદાથી જતી બહારની અનધિકૃત વ્યક્તિઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરવો નહી તેમજ પ્રવેશ કરવાની કોશિશ કરવી નહી. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ- ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ ચીજવસ્તુ જેવી કે, ઇલેકટ્રોનીક આઇટમ, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહી કે કરાવવામાં મદદ કરવી નહી. પરીક્ષાખંડમાં વિધાર્થીઓએ મોબાઇલ કે પરીક્ષામાં ચોરી ગણી શકાય તેવા કોઇ પણ પ્રકારના ઇલેકટ્રીક ઉપકરણો લઇ જવા નહીં. ઓળખપત્ર વિનાની બિન અધિકૃત વ્યકિતઓને પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.

લગ્નના વરઘોડાને કે સ્મશાન યાત્રાને કે રેલ્વે/એસ.ટી.માં મુસાફરીમાં જનાર બોનાફાઇડ વ્યકિતઓને તેમજ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ અધિકૃત સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુકાયેલ કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રના સંવાહકો, સંચાલકો, સ્થળ સંચાલકો, ઝોન પ્રતિનિધિ, ખંડ નિરીક્ષકો, વોટરમેન, બેલમૅન તથા ઓળખપત્ર આપવામાં આવેલ હોય તેવી નિરીક્ષણ ટુકડીઓ સહિતના તમામ અધિકૃત કર્મચારીઓને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કર્યે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.