ચીખલી: આજરોજ ચીખલીની કવોરીઓ માંથી બહારની ટ્રકો બોલાવી ખનીજનું વહન કરવાના પ્રશ્નના નિરાકરણ માટે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ રસ નહી લેવાતા સ્થાનિક ટ્રક માલિકોની રોજીરોટી ને અસર થતાં દક્ષિણ ગુજરાત ચીખલી – ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિયેશન દ્વારા હડતાળનું રણશિંગુ ફૂંકયું.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજ સવારથી 500 થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા છે. ચીખલી વિસ્તારની કેટલીક કવોરીઓ માંથી કોલસા, સિમેન્ટની ખાલી ગાડીઓ (રિટર્ન) માં ખનીજ ભરી અપાતા સપ્ટેમ્બરે 2021માં ભારે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક ટ્રક માલિકો દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવતા તાત્કાલિક પ્રાંત અધિકારી અને પી.આઈ સહિત નાની મધ્યસ્થીમાં રિટર્ન ટ્રકોમાં ખનીજ નહીં ભરવાનું નક્કી કરાતા મામલો થાળે પડ્યો હતો અને હડતાળનો અંત આવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી સમાધાનનો ભંગ થતાં ગણદેવી – ચીખલી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા અવારનવાર જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રશ્નનું નિરાકરણ માટે રજુઆત કરાઈ હતી. તેનું નિરાકરણ ન આવતાં ફરીવાર ટ્રક એસોસિએશનએ ગઈકાલે હડતાળના એલાનને પગલે આજે ટ્રકના પૈડાં થંભી ગયા છે.
સ્થાનિક અધિકારીઓ દ્વારા રજુઆતને ધ્યાને નહી લઈ નજર અંદાજ કરાતા અને નિરાકરણ માટે રસ નહી દાખવતા સ્થાનિક ટ્રક માલિકોના ધંધા રોજગાર પર સીધી અસર થતાં આજે ફરી હડતાળનું રણશિંગુ ફૂકવામાં આવ્યું છે. આ અંગેની જાણ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતનાને કરી દેવામાં આવી છે. હડતાળના એલાનથી 500થી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા અને વિકાસના કામોને પણ વિપરીત અસર નોંધાઈ છે.

