વલસાડ: વલસાડ માંથી પસાર થતો નેશનલ હાઇવે અતિશય બિસ્માર હાલતમાં હોવાને લીધે પડતી હાલાકીઓ બાબતે ખેરગામના આદિવાસી યુવાનો દ્વારા ખેરગામ મામલતદાર મારફતે બગવાડા ટોલનાકાના મેનેજરને સંબોધીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાય વખતથી ભારે વરસાદથી વલસાડ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે 48 અતિશય બિસ્માર હાલતમાં હોય, વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ખેરગામ તાલુકાના જાગૃત યુવાનો દ્વારા ખેરગામ મામલતદાર મારફતે બગવાડા ટોલનાકાના મેનેજરને સંબોધીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સામાજિક આગેવાન ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વલસાડ અને આસપાસમાંથી પસાર થતાં રોડ ખુબ જ નબળી ગુણવતાવાળા બનાવેલ છે જેના લીધે વરસાદમાં રોડ ખુબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત બનેલ છે,એના લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ છે. હાલમા જ અનાવલથી પરત ફરી રહેલ માતા, પિતા, પુત્રી સહિતનો પરિવાર ખાડામાં ગાડી પટકાતા પાછળથી આવતી ટ્રકમા કચડાય જતા દુઃખદ અવસાન પામેલ. આવી જ રીતે કરણીસેનાના દમણના પ્રમુખનું પણ દુઃખદ આકસ્મિક અવસાન થયેલ.અને અનેક વાહનચાલકોએ પોતાના જાનમાલનું નુકસાન સહન કરવાનો વારો આવેલ છે. વરસાદમાં રોડ બગડે એ સ્વભાવિક વાત છે, પરંતુ બીજા જિલ્લાઓમાં પણ જ્યાં ખુબ વરસાદ વરસેલ છે ત્યાંના રોડની પરિસ્થિતિ વલસાડ જેટલી બિસ્માર નથી.
અમારા આદિવાસી યુવાનોની માંગ છે કે જ્યાંસુધી રોડ સરખા નહીં થાય ત્યાં સુધી ટોલટેક્સ ઉઘરાવવાનો તાત્કાલિક બંધ કરો કારણકે અમે આપને સારા રોડ માટે ટેક્સ ચૂકવ્યે છીએ, નહીં કે ખાડા માટે અને જે પરિવારોએ આપની આ બેદરકારીના લીધે જીવન ગુમાવવાનો વારો આવેલ છે તે પરિવારોને તાત્કાલિક મોટુ વળતર ચૂકવવામાં અને જેલોકોની ગાડીઓ ખરાબ રસ્તાના કારણે બગડેલ છે, તેવા લોકોને પણ ટૂંક સમયમાં તાત્કાલિક વળતર ચૂકવો નહિ તો નિર્દોષ પ્રજાજનોને પડી રહેલ હાલાકી બદલ અમારે આશ્ચર્યજનક કાર્યક્રમો કરવા પડશે એ વાત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ધ્યાને લે.

