ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ગઈકાલે ગૌરક્ષકોએ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરતાં રાનકુવા પોલીસે નઝીર સિંધી નામના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત લિયાકલ હાજી ગુલામ નામના ઈસમને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ અનુસાર ગૌરક્ષકોને ટાંકલથી એક આઇશર ટેમ્પો ભેંસો ભરી લઈને રાનકુવા તરફ લઇ જવામાં આવતો હોવાની બાતમી મળી હતી. જે બાદ અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત, પ્રણવસિંહ પરમાર, સાજનભાઈ ભરવાડ, સુરેશભાઈ પુરોહિત, અંબાલાલ પટેલ અને નારણસિંહ રાજપૂત સહિતના લોકોએ વોચ ગોઠવી રાનકુવા સર્કલ નજીક જ આ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો. ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકનું નામ નઝીર દાઉ સિંધી છે જે રહે મગરકુઇ, જિ. તાપી, મૂળ: રાજસ્થાનના છે જે બાદ તેમણે ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતાં છ ભેંસો ટૂંકા દોરડાથી બાંધેલી જોવા મળી હતી અને તેમના માટે ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. જે બાદ ટેમ્પો કબજે કરી ગૌરક્ષકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી એક ભેંસની કિંમત 10 હજાર લેખે કુલ 60,000 ની ભેંસ તેમજ આયશર ટેમ્પોની કિંમત 10 લાખ ગણી લઈને કબજે કર્યા હતા. ઉપરાંત, પોલીસે ભેંસોની હેરાફેરી કરનાર ચાલક નઝીર સિંધીને પકડી લીધો હતો અને અન્ય એક આરોપી લિયાકલ હાજી ગુલામને (રહે. ધરમપુર, વલસાડ) વૉન્ટેડ જાહેર કર્યો છે.
આ ઉપરાંત સરૈયાના એક તબેલાના માલિક સામે પણ ગુનો નોંધાવામાં આવ્યો છે. આ તમામ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમાર જણાવે છે કે , “રવિવારે લગભગ સાડા છ વાગ્યે અમને પશુઓને ટેમ્પોમાં લઇ જવાતાં હોવાની બાતમી મળી હતી. જે બાદ અમે ગૌરક્ષકોએ મળીને સાતેક વાગ્યાની આસપાસ રાનકુવા સર્કલ પાસે ગાડી અટકાવી હતી અને પૂછપરછ કરતાં તેમાં પશુઓ લઇ જવાતાં હોવાનું જાણવા મળતાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.”