ગુજરાત: ગતરોજ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ) પરીક્ષા માર્ચ-૨૦૨૨નું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ થવાની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં બિન સત્તાવાર બનાવટી અખબારી યાદી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વાયરલ કરવામાં આવ્યાની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.

બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે માર્ચ-૨૦૨૨ ના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની તારીખની જાહેરાત બોર્ડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ નથી. જેથી ઉક્ત વાયરલ થયેલ પરિણામની તારીખ અંગેની અખબારી યાદી બનાવટી છે. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ થનાર નથી તેની નોંધ લેવી.

બોર્ડે જણાવ્યું કે, પરિણામની તારીખ દર્શાવતી બનાવટી અખબારી યાદી સોશિયલ મિડીયામાં વાયરલ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યઓને ગેરમાર્ગે દોરનાર અજાણ્યા ઈસમ સામે કાયદાની જોગવાઈ અનુસાર બોર્ડ દ્વારા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.