સુરત : ગુજરાતના આર્થિક પાટનગર અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાતા સુરતના કોંક્રિટના જંગલમાં આવેલ ગવિયર તળાવને ગુજરાતમાં લુપ્ત થનાર તથા અને અતિ દુર્લભ કહી શકાય એવી જળબિલાડીના પરિવારે નિવાસ્થાન બનાવ્યાના દ્રશ્યો બહાર આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ અતિ દુર્લભ કહી શકાય એવી જલબિલાડીઓનું ઝુંડ અહીં જોવા મળી રહ્યું છે. ત્યારે ગવિયર તળાવની નજીક વિશાળકાય ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. સુરત શહેરથી 7 કિલોમીટર દૂર આવેલ આ તળાવ વન્યજીવોનું આશ્રયસ્થાન બની ગયું છે. ગુજરાતની લુપ્ત ગણાતી સાતથી દસ જલબિલાડીનું ઝુંડ ગવિયર તળાવ ખાતે જોવા મળ્યું છે. આશ્ચર્યની વાત છે કે એક બાજુ આ તળાવની નજીક ઔદ્યોગિક એકમો આવેલ છે અને બીજી બાજુ ગુજરાતમાં જે પ્રાણી લુપ્ત થવાના આરે છે તે પ્રાણીઓ આ તળાવને પોતાનો આશરે સ્થળ બનાવી રહ્યા છે.

ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015 થી અહીં નેચર ક્લબ સુરત દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જલબિલાડીની વસ્તી વધતી દેખાઈ રહી છે. હાલમાં અંદાજીત 7 થી 10 જલબિલાડીઓ તળાવમાં વિહાર કરતી નજર આવી રહી છે. આ ખાસ પ્રોજેક્ટ ચલાવનાર કૃણાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષથી ગવિયર તળાવમાં અમે સંશોધન કરી રહ્યા છે. અમારી સંસ્થા દ્વારા જળ બિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કાર્યક્રમો યોજી રહ્યા છે. જલ બિલાડીઓની સંખ્યામાં વધારો થાય એ માટે અમે કૅમેરા ટાઈપિંગ, જાગરૂકતાના કાર્યક્રમ, માછીમારી માટે યોગ્ય સ્થળ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.