ઉમરપાડા: ગતરોજ પ્રેમના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડે ના દિવસે જ સુરતના ઉમરપાડા વિસ્તારમાં એક વિદ્યાર્થીએ પોતાની જિંદગીથી કંટાળીને આત્મહત્યા વહોરી છે. વેલેન્ટાઇન ડે ના જિંદગીને પ્રેમ કરવાના દિવસે જ વિદ્યાર્થીએ આત્મહત્યા કરવા પાછળનું કારણ શું હોય શકે ?
પ્રેમના આ દિવસે તમે તમારી જાતને તો પ્રેમ કરો જ, પરંતુ તમારા માતા-પિતા, મિત્રો પરિચિતો સાથે પણ જીવનની દરેક પળને માણવા જોઈએ ત્યારે સુરતના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઝંખવાવની શાંતિનિકેતન હાઈસ્કૂલની આ ઘટનામાં વિદ્યાર્થીએ બ્લેક બોર્ડ પર કુદરતી ચિત્ર દોરી “ધ એન્ડ” લખ્યું અને બાદમાં તુરંત જ જિંદગી ટૂંકાવી નાખી હતી.
પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. અને પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિધાર્થી ભણતરના ભારથી દબાયેલો હોવાની વાત સામે આવી છે. આ આત્મહત્યા બાદ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ અંચબામાં આવી ગયા હતા હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

