ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના કેસ ધીમી ગતિએ ઘટી રહ્યા છે. એટલે કે કોરોનાની બીજી લહેર ખતમ થઈ નથી. તેમણે કહ્યું કે, દેશમાં ગત સપ્તાહે કુલ કેસના 62 ટકા કેસ માત્ર કેરળમાં આવ્યા હતા. અત્યારે કેરળમાં કોરોનાના સક્રિય કેસ એક લાખથી વધુ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 40 હજારથી વધુ સક્રિય કેસ છે.

દેશમાં 12 સપ્તાહથી સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. તો આગામી તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યોને 21 સપ્ટેમ્બરે વ્યાપક SOP જાહેર કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, બીજી તરફ દેશમાં કોરોના રસીકરણ પણ પૂરઝડપે થઈ રહ્યું છે.

દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે દેશના પુખ્ત વયના 66 ટકા લોકોને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં 63.6 ટકા રસીકરણ થયું છે. જ્યારે 37.4 ટકા રસીકરણ શહેરી વિસ્તારોમાં થયું છે.

અત્યારે સપ્ટેમ્બરમાં દૈનિક સરેરાશ 82 લાખ ડોઝ લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ પણ આપી હતી. તો દિવ્યાંગો, વિશેષ જરૂરિયાતવાળા લોકોના ઘરે પણ રસીકરણ શરૂ થશે.