પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પાંચ દિવસ દિલ્હીમાં રહ્યાં બાદ હવે પરત કોલકાત્તા પહોંચી ગયા છે. આ પહેલાં મમતા બેનરજીએ એલાન કર્યું છે કે તેઓ દર બે મહિને રાજધાની દિલ્હીમાં આવશે. 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિકલ્પ બનાવવાની કોશિશમાં લાગેલાં મમતા બેનરજીએ ‘લોકતંત્ર બચાવો, દેશ બચાવો’નો નારો આપ્યો છે. બંગાળમાં સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બનેલાં મમતા બેનરજીએ દિલ્હીની પોતાની મુલાકાત સફળ ગણાવી છે.
મમતા બેનરજીએ કહ્યું કે મારી મુલાકાતો રાજનીતિના ઉદ્દેશ્ય સાથેની હતી અને લોકશાહીમાં આવી મુલાકાત ચાલું રહેવી જોઈએ. મમતા બેનરજીએ પાંચ દિવસની દિલ્હીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના નેતાઓ મુલાકાત કરી અને જેમાં 2024માં ભાજપને સત્તાથી હટાવવા માટે માટેની રણનીતિ બનાવવા પર ચર્ચા કરાઈ હતી.
ઉલ્લેખીય છે કે, મમતા બેનરજીએ તાજેતરમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના આક્રમક ચૂંટણી અભિયાનનો સફળતાપૂર્વક સામનો કર્યો અને ભાજપને ફક્ત 77 સીટ જ મળી શકી હતી. ભાજપે બંગાલમાં 200 થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો હતો. 2014થી દેશની સત્તા સંભાળી રહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મમતા બેનરજી વિકલ્પ બનાવવાની કોશિશમાં લાગી ગયા છે.